Parcha for Jalaram Jyot (International) – April – 2011 << Back to Archive Home
શ્રીમતિ મંજુબેન એસ. પટેલ; ઓન્ટારીઓ (કેનેડા)થી લખે છે: તેઓ
પૂ.બાપા પ્રત્યે અતૂટ શ્રદ્ધા - ભક્તિભાવ ધરાવે છે. પૂ.બાપાએ
તેમના અનેક કાર્યો સિધ્ધ કર્યા છે. તેમનાં ત્રણેય બાળકો સારું
શિક્ષણ મેળવે અને પ્રગતિ કરે એવી આશા ફળી છે. પૂ. બાપાની કૃપા
થકી તેમનો મોટો દીકરો ક્ષેમકુશળ કેનેડા પહોંચી ગયો અને એની રીતે
ત્યાં સ્થાયી થઈ ગયો. નાનો દીકરો સારું શિક્ષણ મેળવી શક્યો તે
પણ પૂ. બાપાની કૃપાથી જ. તેમને તથા નાના દીકરાને કેનેડાના વિઝા
મળતા ન હતા. તેમના પતિને પણ મેડીકલમાં ફેઈલ કર્યા હતા. પરંતુ
પૂ. બાપાના પરચાની ટેક રાખતા થોડા જ સમયમાં વિઝા મળી ગયા અને સૌ
સુખરૂપ કેનેડા આવી ગયા. પૂ.બાપાના આશીર્વાદથી મોટા દીકરાને સારી
જોબ મળી ગઈ.
શ્રીમતિ દીવાળીબેન વી. કારા; આસ્ટન-અન્ડરલાઈન (યુ.કે.)થી લખે
છે: તેમના દીકરાની તબિયત અચાનક બગડી જતા સૌ ચિંતામાં મુકાઈ ગયા
હતા. ડૉક્ટરોના કહેવા પ્રમાણે ઓપરેશન મોટું હતું. તે સફળ થાય તે
માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.
બાપાની અમી દ્રષ્ટિથી ઓપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું અને તેમનો
દીકરો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. પૂ.બાપાની કૃપા દ્રષ્ટિ તેમના
પરિવાર પર સદા રહી છે.
શ્રીમતિ સવિતાબેન બી. ભદ્રેશા; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના
મોટી રકમના પૌંડ ક્યાંક મુકાઈ જતા ઘણું શોધવા છતાં મળતા ન હતા.
આ બાબતે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો. જે જગ્યાએ સાત-આઠ
વખત તપાસ કરી હતી તે જગ્યાએ ફરી શોધવા પૂ.બાપાએ પ્રેરણા કરી, ને
ત્યાંથી જ તેમના પૌંડ મળી આવ્યા. પૂ.બાપાએ તેમની બધી જ
મુશ્કેલીઓ દૂર કરી છે.
શ્રીમતિ ઉર્મિલાબેન રૂપારેલીયા; લંડન (યુ.કે.)થી લખે છે: તેઓ
પતિ-પત્ની હોલીડે ટૂરમાં બેંગકોક અને હોંગકોંગ જવાના હતા. પરંતુ
બંનેની તબિયત અંગે સતત ચિંતા રહેતી. પ્રવાસ સુખરૂપ સંપન્ન થાય
તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની
પરમ કૃપાથી તેઓનો પ્રવાસ સુખરૂપ પૂર્ણ થયો. તે દરમ્યાન
સીંગાપોરમાં તેમના પતિને પગની તકલીફ થઈ હતી. પરંતુ પૂ.બાપાને
યાદ કરવાથી તુરત જ સારું થઈ ગયું હતું.
શ્રી કુસુમબેન પટેલ; મીડક્ષ (યુ.કે.)થી લખે છે: તેમને મોં પર
ગૂમડાં થયાં હતાં. ઘણી દવાઓ કરાવી પણ કોઈ જ ફેર ન પડ્યો. છેવટે,
તેમણે પૂ. બાપાને પ્રાર્થ્યા અને મોં પરના ગૂંમડા મટી જાય તે
માટે પરચો માન્યો. પૂ. બાપાની દયાથી તેમને બિલકુલ સારું થઈ
ગયું.
શ્રી સાધનાબેન એમ. મોદી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: તેમના
માતુશ્રીને યાત્રા કરવાની ખૂબ જ ઈચ્છા હતી. પરંતુ નાદુરસ્ત
તબિયત કે અન્ય કારણોસર આ ઈચ્છા અધૂરી રહેતી. છેવટે, તેમણે પૂ.
બાપાને સ્મર્યા અને માતુશ્રીની યાત્રા કરવાની ઈચ્છા પૂર્ણ થાય
તે માટે પરચો માન્યો. પૂ. બાપાની પરમ કૃપાથી તેમના માતુશ્રીની
યાત્રા સુખરૂપ પૂર્ણ થઈ. પૂ.બાપાના આશીર્વાદથી તેમના પુત્રને
સારી જોબ મળી તેમજ તેમની બહેનની મનોકામના પૂર્ણ થઈ.
શ્રી ચંદ્રિકાબેન પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમને કમ્મર
અને પગમાં ખૂબ જ દુ:ખાવો થતો હતો. આ દર્દ દૂર થાય તે માટે તેમણે
પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ. બાપાની દયાદ્રષ્ટિથી
તેમનું દર્દ દૂર થયું. પૂ. બાપાની કૃપાથી તેમના બધા જ કાર્યો
પૂર્ણ થયા છે.
શ્રી રમીલાબેન બાંભણીયા; વેમ્બલી (યુ.કે.)થી લખે છે: પૂ. બાપાની
કૃપાદ્રષ્ટિથી તેમના પરિવારની નાની-મોટી તમામ શારીરિક તકલીફો
દૂર થઈ છે. એન્ડોસકોપી કર્યા પછી તેમની તબિયત લથડી ગઈ હતી.
ગળામાં, છાતીમાં તથા વાંસામાં દુ:ખાવો થતો હતો. સારું થઈ જાય તે
માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો. પૂ.બાપાની દયાથી
દર્દનું નિદાન થઈ ગયું અને યોગ્ય સારવાર મળી જતા સ્વાસ્થ્ય
બિલકુલ સારું થઈ ગયું. ત્યાર બાદ પથરીનું ઓપરેશન પણ સફળ થયું.
શ્રીમતિ ભાવનાબેન રેશમવાલા; ન્યૂજર્સી (યુ.એસ.એ.)થી લખે છે:
તેમના ઉપર એક મોટી મુશ્કેલી આવી પડી હતી. જે દૂર થાય તે માટે
તેમણે પૂ. બાપાને સ્મરી પરચો છપાવવાનો નિર્ણય કર્યો. પૂ.બાપાની
અસીમ કૃપાથી તેમની મુશ્કેલી દૂર થઈ. પરમ કૃપાળુ પૂ.બાપાના
ચરણોમાં વારંવાર વંદન.
શ્રી નિર્મળાબેન આડતીયા; મીડક્ષ (યુ.કે.)થી લખે છે: પૂ.બાપા ઉપર
તેમને અખૂટ શ્રદ્ધા છે, વિશ્વાસ છે. પૂ. બાપાનું નામ - સ્મરણ
કરી પરચો છપાવવાનો સંકલ્પ કરતા તેમના બધા જ કાર્યો પૂર્ણ થાય
છે. સંકટના સમયમાં પૂ.બાપા સ્મર્યે સહાય કરે છે. પૂ.બાપાને
ભાવપૂર્વક નમન.
શ્રીમતિ મંજુબેન; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની દીકરીને પડી
જવાથી ઈજા થઈ હતી તેમજ બીજી દીકરીને શારીરિક તકલીફ હતી. બંનેને
સારું થઈ જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો
માન્યો. પૂ.બાપાની અમીમય નજરથી બંને દીકરીઓને બિલકુલ સારું થઈ
ગયું. આ ઉપરાંત, પૂ.બાપાના આશીર્વાદથી તેમના ભાણેજને અભ્યાસ
માટે એડમીશન મળી ગયું તેમજ સારી જોબ પણ મળી ગઈ.
શ્રીમતિ મંજુલાબેન પંડ્યા; ઈલ્ફોર્ડ (યુ.કે.)થી લખે છે: તેમની
પૌત્રીને લંડનની યુનિવર્સીટીમાં જ એડમીશન મળે તેવી તેમની ઈચ્છા
હતી. આ માટે તેમણે પૂ.બાપાને શ્રદ્ધાપૂર્વક સ્મર્યા અને પરચો
છપાવવાની ટેક રાખી. પૂ.બાપાના શુભાશિષથી પૌત્રીને લંડનની
યુનિવર્સીટીમાં જ એડમીશન મળી ગયું.
શ્રી જગદીશભાઈ આર. પટેલ; પેન્સિલવેનીયા (યુ.એસ.એ.)થી લખે છે:
તેમની નાની દીકરીની તબિયત બગડી જવાથી તે કોલેજમાં જવા અસમર્થ
હતી. તેથી તેનો અભ્યાસ બગડતો હતો. તેના સારા સ્વાસ્થ્ય માટે
તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની અમી
દ્રષ્ટિથી તેમની દીકરીનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું.
શ્રી નિશાબેન એચ. રાણા; પશેઈક (યુ.એસ.એ.)થી લખે છે: તેઓ અમેરીકા
આવ્યાને દોઢ વર્ષ બાદ કોઈ ને કોઈ બાબતે મુંઝાતા હતા. કોને શું
કહેવું તે પ્રશ્ન સતાવતો હતો. મન ગભરાતું હતું અને ઈન્ડિયા પરત
જવું પડે તેવી સ્થિતી નિર્માણ થઈ હતી. પરંતુ સંકટની, આ ઘડીમાં
પૂ.બાપાનું શરણું લઈ પરચાની ટેક રાખતા થોડા જ દિવસોમાં બધું
બરાબર થઈ ગયું. મૂંઝવણ દૂર થઈ અને મનને શાંતિ મળી.
શ્રીમતિ કાંતાબેન જી. વૈદ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની
દીકરીના લગ્ન નિર્વિઘ્ને પાર પડે તે માટે તેમણે પૂ.બાપાને
પ્રાર્થી આશીર્વાદ માંગ્યા હતા. સાથે પરચો છપાવવાની ટેક પણ રાખી
હતી. પૂ.બાપાએ કૃપાવૃષ્ટિ કરતા દીકરીના લગ્નનો પ્રસંગ ધામધૂમથી
સંપન્ન થયો. પરમ વંદનિય પૂ.બાપાને કોટિ કોટિ પ્રણામ.
શ્રીમતિ બી. જે દયાલ; બર્મિંગહામ (યુ.કે.)થી લખે છે: તેમની
ચારેય દીકરીઓ ઈન્ડિયા ફરવા ગઈ હતી. તેમજ ચૌદ વર્ષનો પૌત્ર સ્કૂલ
તરફથી એક અઠવાડિયા માટે બહારગામ ગયો હતો. બાળકો બાબતે તેઓ ખૂબ જ
ચિંતિત હતા. સૌ સુખરૂપ ઘરે આવી જાય તે માટે તેમણે પૂ.બાપાને
સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની અપાર દયાથી સૌ આનંદથી ફરીને
સુખરૂપ ઘરે આવી ગયા. તેમજ અમેરિકા સ્થિત દીકરી તેના ઘરે હેમખેમ
પહોંચી ગઈ. તેમને પણ નાની - મોટી શારીરિક તકલીફો સતાવતી હતી.
દવાઓ અસર કરતી ન હતી. પરંતુ પૂ.બાપાને પ્રાર્થી પરચો માનતા
તેમને સારું થઈ ગયું.
શ્રીમતિ જ્યોતિબેન આર. મીસ્ત્રી; લંડન (યુ.કે.)થી લખે છે: તેમના
દીકરાની પરીક્ષાનું પરિણામ સારું આવે તેમજ તેને મનપસંદ
યુનિવર્સીટીમાં એડમીશન મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને
પ્રાર્થી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાના આશીર્વાદથી
દીકરો સારા માર્કસ મેળવી પાસ થયો તેમજ તેને સારી યુનિવર્સીટીમાં
એડમીશન પણ મળી ગયું. પૂ.બાપાની કૃપાથી તેમની ભાણેજની મોટી
બીમારી દૂર થઈ. પૂ.બાપાને અગણિત નમસ્કાર.
શ્રીમતિ રમાબેન એ. ગણાત્રા; ફ્લોરીડા (યુ.એસ.એ.)થી લખે છે:
તેમના બંને દીકરાને સહપરિવાર ઈન્ડિયા આવવું હતું. તે માટે વિઝા
લેવા જરૂરી હોય અરજી કરેલી. પરંતુ ઘણાં લાંબા સમય બાદ પણ વિઝા
અંગે કોઈ પ્રત્યુત્તર મળ્યો નહિ. તેથી તેમની ચિંતા વધી ગઈ.
છેવટે, ચાલુ જોબમાંથી મુશ્કેલીથી રજા મેળવી વિઝા ઓફિસે રૂબરૂ
ગયા અને ત્યાં જઈ પૂ.બાપાને પ્રાર્થી યોગ્ય પ્રયત્નો કર્યો.
વિઝા જલ્દીથી મળી જાય તે માટે પરચો પણ માન્યો. ...ને ખરેખર
પૂ.બાપાએ કૃપા કરી. વિઝાનું દુર્લભ કાર્ય ટૂંક સમયમાં જ સુલભ થઈ
ગયું.
શ્રીમતિ જયશ્રીબેન પટેલ; એટલાન્ટા (યુ.એસ.એ.)થી લખે છે: તેમના
ત્રણેય પુત્રોને સારી ડીગ્રી મળી જાય તેમજ બીજી ઈચ્છાઓ પૂર્ણ
થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો છપાવવાનો નિર્ણય
કર્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ. સંત
શિરોમણી પૂ. બાપાના ચરણોમાં ભાવપૂર્વક વંદન.
શ્રીમતિ વર્ષાબેન વી. ઠક્કર; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ.બાપાએ
તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરી છે. તેમની નાની દીકરી બાબતે
તેમને ચિંતા રહેતી હતી. પૂ.બાપાને પ્રાર્થી પરચાની ટેક રાખતા આ
ચિંતા દૂર થઈ. પૂ.બાપાના આશીર્વાદથી તેના ઘરે પારણું પણ
બંધાણું. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપા થકી તેમના પગનું ઓપરેશન સફળ
થયું તેમજ પતિની નાદુરસ્ત તબિયત સારી થઈ ગઈ.
શ્રીમતિ ચંપાબેન બી. પંચાલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની
દીકરીને મનપસંદ જીવનસાથી મળે તેમજ તેના લગ્ન નિર્વિઘ્ને થઈ જાય
અને ઘરનું બધું જ કામકાજ સારી રીતે પાર પડી જાય તે માટે તેમણે
પૂ.બાપાને યાદ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી. પૂ.બાપાની પરમ
કૃપાથી તેમની આ મનોકામના પૂર્ણ થઈ. સાથે પરિવારમાં પણ સૌ હસતા -
બોલતા થઈ ગયા. પૂ.બાપાના આશિષથી તેમના સંતાનોને સારી જોબ મળી
અને સૌ પરિવારજનો સુખી છે.
શ્રીમતિ ભારતીબેન કે. પંડ્યા; મીડક્ષ (યુ.કે.)થી લખે છે:
પૂ.બાપા પરની અનન્ય શ્રદ્ધા થકી તેમની તેમની બધી જ ઈચ્છાઓ પૂર્ણ
થઈ છે. પૂ.બાપાના આશીર્વાદથી તેમની દીકરી એક અગત્યની પરીક્ષામાં
ખૂબ જ સારા માર્કસ મેળવી પાસ થઈ. તેની બીજી ડીલેવરી વખતે તબિયત
સારી રહેતી ન હતી. પરંતુ પૂ.બાપાના પરચાની ટેક રાખતા નોર્મલ
ડીલેવરી થઈ અને તંદુરસ્ત પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. તેમના ઘરના
સેન્ટ્રલ હીટર રીપેર કરાવવા છતાં બરાબર ચાલતા ન હતા. પૂ.બાપાને
પ્રાર્થના કરવાથી તે પણ બરાબર ચાલતા થઈ ગયા. આ ઉપરાંત,
પૂ.બાપાની કૃપાથી તેમની, તેમના પતિ તથા બંને દીકરા, દીકરી -
જમાઈની તબિયત સારી થઈ ગઈ તેમજ તેમની સખીના પગનું ઓપરેશન સફળ થતા
તે બરાબર ચાલતી થઈ ગઈ. તેમની બંને બહેનના સંતાનોના લગ્ન આનંદથી
પાર પડ્યા તેમજ સૌથી નાની બહેનના દીકરાને નોકરી મળી ગઈ.
શ્રીમતિ એલ. એસ. મહેતા; હેરો (યુ.કે.)થી લખે છે: તેઓ લંડનથી
કેન્યા, ટાન્ઝાનીયા ફરવા જવાના હતા. સાથે ઓસ્ટ્રેલીયાથી પુત્રનો
પરિવાર તેમજ લંડનથી દીકરીનો પરિવાર - બધા ત્યાં મળવાના હતા. આ
સફર નિર્વિઘ્ને સફળ થાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો
માન્યો. પૂ.બાપાની અસીમ કૃપાથી સૌ આનંદથી ફરીને ઘરે આવી ગયા.
શ્રી શિલ્પાબેન પટેલ; ફોનીક્સ (યુ.એસ.એ.)થી લખે છે: તેમની
બહેનને કમ્મરમાં અસહ્ય દુ:ખાવો થતો હોવાથી ઓપરેશન કરાવવું પડે
તેમ હતું. તે સફળ થાય અને તેને બિલકુલ સારું થઈ જાય તે માટે
તેમણે પૂ.બાપાને સ્મરી પરચો માન્યો. પૂ.બાપાની અમી કૃપાથી
ઓપરેશન સફળ થયું અને તેમની બહેન પહેલાંની જેમ જ હરતી - ફરતી થઈ
ગઈ.
શ્રી નિર્મળાબેન દત્તાણી; લેસ્ટર (યુ.કે.)થી લખે છે: થોડા સમય
પહેલાં તેમની તબિયત સારી રહેતી ન હતી. બ્લડ ટેસ્ટ કરાવેલ. તેનો
રીપોર્ટ નોર્મલ આવે તેમજ સ્વાસ્થ્ય સારું થઈ જાય તે માટે તેમણે
પૂ.બાપાનું રટણ કરી પરચો છપાવવાની ટેક રાખી. પૂ.બાપાની દયાથી
તેમનો રીપોર્ટ નોર્મલ આવ્યો. અને સ્વાસ્થ્ય પણ સારું થઈ ગયું.
વધુમાં, તેમના ભાઈની નાદુરસ્ત તબિયત પણ પૂ.બાપાને પ્રાર્થના
કરવાથી સારી થઈ ગઈ. પૂ.બાપાએ તેમની નાની- મોટી દરેક ઈચ્છા પૂર્ણ
કરી છે.
શ્રી તૃપ્તિબેન દેસાઈ; ઓન્ટારીઓ (કેનેડા)થી લખે છે: તેમના માતા
- પિતા સુખરૂપ ઈન્ડિયા પહોંચી જાય તે માટે તેમણે પૂ.બાપાને
પ્રાર્થી પરચો માન્યો હતો. પૂ.બાપાની અપાર કૃપાથી તેમના માતા -
પિતા ઈન્ડિયા સુખરૂપ પહોંચી ગયા, તેઓની મુસાફરી નિર્વિઘ્ને પાર
પડી. પૂ.બાપાના ચરણોમાં શત્ શત્ પ્રણામ.
શ્રી પ્રફુલાબેન ગાથા; દારેસલામ (ટાન્ઝાનીયા)થી લખે છે: તેમનો
પુત્ર બીમલ તેમની પૌત્રી તથા દોહિત્રીઓને લઈને દુબઈ ફરવા ગયો
હતો. તેઓ આનંદથી ફરીને હેમખેમ ઘરે આવી જાય તે માટે તેમણે
પૂ.બાપાનું સ્મરણ કરી પરચો માન્યો હતો. પૂ.બાપાની કૃપાથી તેઓ
આનંદથી ફરીને સુખરૂપ ઘરે આવી ગયા. તેમના ભાણેજવહુ ઓસ્ટ્રેલિયા
એકલા જવાના હતા. તે પણ ત્યાં સુખરૂપ પહોંચી ગયા, પણ તેની બેગ
ખોવાઈ ગઈ. પૂ.બાપાને પ્રાર્થના કરી પરચો માનતા તેની બેગ મળી
આવી. તેના પિતાજીની અસ્વસ્થ તબિયત પણ પૂ.બાપાની દયાથી સારી થઈ
ગઈ. તેમની દોહિત્રીને તાવ આવતો હોવાથી મેલેરીયા થવાનો ડર હતો.
પૂ.બાપાનું સ્મરણ કરવાથી તેનો રીપોર્ટ પણ નોર્મલ આવ્યો અને તાવ
ઊતરી ગયો.
શ્રીમતિ સુમિત્રાબેન પટેલ; કુવૈત (યુ.એ.ઈ.)થી લખે છે: તેમને
અમેરીકાના ગ્રીનકાર્ડ માટે જન્મના પ્રમાણપત્રની જરૂર હતી. તેમનો
જન્મ ઈન્ડિયામાં ગુજરાત ખાતે ભડિયાદ જેવા નાના ગામમાં થયો હતો.
ત્યાંથી પ્રમાણપત્ર મેળવવું અશક્ય જણાતું હતું. છતાં, પૂ.બાપા
પર શ્રદ્ધા રાખી, કાર્ય સફળતા માટે પરચાની ટેક રાખી, મામાની
દીકરીને આ વાત કરી. પૂ.બાપાએ તેમનું કાર્ય પાર પાડ્યું. તેમના
જન્મનું પ્રમાણપત્ર તૈયાર થઈ ગયું. બીજું, તેમની દીકરી
કેનેડામાં મકાન બાબત પરેશાન હતી. તેને મનપસંદ મકાન પંદર દિવસમાં
મળી જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થી પરચો માન્યો... ને
પૂ.બાપાએ મ્હેર કરતા તેને આઠ જ દિવસમાં મનપસંદ મકાન મળી ગયું.
વધુમાં, પૂ.બાપાને તેમણે કરેલી પ્રાર્થનાના ફળસ્વરૂપ તેમના
દીકરાના ઘરે પુત્રનું પારણું ઝૂલતું થયું.
શ્રી ઠાકોરભાઈ વલ્લભહરી; લેન્સ (સાઉથ આફ્રિકા)થી લખે છે: તેમની
પૌત્રી ઘણા સમયથી દુ:ખી હતી. તે મોટી મુસીબતમાં મુકાઈ ગઈ હતી.
ઘણાં સમયથી ઘરે પણ આવી શકી ન હતી. તેની મુસીબત દૂર થાય તે માટે
તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો. પૂ.બાપાની દયાથી
તેમની પૌત્રીની મુસીબત દૂર થઈ. ત્યારબાદ તેના લગ્ન નિર્વિઘ્ને
પાર પડ્યા અને હવે તે ખૂબ સુખી છે. બીજું, તેઓ પડી જવાથી
ફ્રેક્ચર થયું હતું. ઓપરેશન બાદ પણ ચાલવામાં તકલીફ પડતી હતી.
પરંતુ પૂ.બાપાને યાદ કરી પરચો માનતા હવે તેઓ થોડું થોડું ચાલી
શકે છે.
શ્રી હીનાબેન મહેતા; બ્રામ્પ્ટન (કેનેડા)થી લખે છે: તેમના
પિતાશ્રી પડી ગયા હતા. ડૉક્ટરે એક્સ-રે કરાવી નોર્મલ કહ્યું
હતું. છતાં દુ:ખાવો ચાલુ જ હતો. ત્યાર બાદ બીજા શહેરના ડૉક્ટરને
બતાવતા તેણે હાડકામાં તિરાડ હોવાનું જણાવી હોસ્પિટલમાં દાખલ
કર્યા. ત્યાં તેમણે પૂ.બાપાને અંત:કરણથી પ્રાર્થ્યા અને
પિતાશ્રીને સારું થઈ જાય તે માટે પરચો માન્યો. પછી બીજા
સ્પેશ્યાલીસ્ટને બતાવતા તેની દવાથી અને પૂ.બાપાની કૃપાથી તેને
બિલકુલ સારું થઈ ગયું.
શ્રીમતિ પી. મીસ્ત્રી; મીડક્ષ (યુ.કે.)થી લખે છે: થોડા સમય
પહેલાં તેમના પર મોટું સંકટ આવી પડ્યું હતું. તેમાંથી ઉગરવાનો
કોઈ ઉપાય સૂઝતો ન હતો. એક માત્ર પૂ.બાપાનો જ સહારો હતો.
સંકટમાંથી હેમખેમ ઊગરી જવાય તે માટે તેમણે પૂ.બાપાનો પરચો
માન્યો. પૂ.બાપાએ તેમની પ્રાર્થના સાંભળી. ....આવેલ સંકટ દૂર
થયું. તેમના અધૂરા કાર્યો પણ સમયસર પૂર્ણ થશે તેવી તેમને
પૂ.બાપા ઉપર શ્રદ્ધા છે.
શ્રી પદમાબેન એસ. મહેતા; લંડન (યુ.કે.)થી લખે છે: પૂ.બાપાના નામ
- સ્મરણથી મનને શાંતિ મળે છે. પૂ. બાપાએ તેમને ડગલે ને પગલે
સહાય કરી છે તેમજ બધા જ કાર્યો સરળતાથી પાર પાડયા છે. તેમના
પતિની તબિયત સારી ન હતી. પરંતુ પૂ.બાપાને અરજ કરી પરચાની ટેક
રાખતા તેઓને તુરત જ સારું થઈ ગયું.
શ્રીમતિ કુસુમબેન વી. પટેલ; લંડન (યુ.કે.)થી લખે છે: તેમની
દીકરી સાયન્સ યુનિવર્સીટીની પરીક્ષામાં પાસ થઈ ડીગ્રી મેળવે તે
માટે તેમણે પૂ.બાપાનું સ્મરણ કરી પરચો છપાવવાની ટેક રાખી હતી.
પૂ.બાપાએ તેમની આ ઈચ્છા પૂર્ણ કરી. તેમની દીકરીને ડીગ્રી મળી
ગઈ.
શ્રી ગોવિંદભાઈ પટેલ; બ્રેમ્પ્ટન (કેનેડા)થી લખે છે: તેમનાં
પત્નીને શરદીની તકલીફ દૂર થતી ન હતી. પરંતુ પૂ.બાપાને યાદ કરી
પરચો માનતા તેને તદ્ન સારું થઈ ગયું. પૂ.બાપાની દયાથી તેમની તથા
પુત્રની ઈન્ડિયાથી કેનેડાની મુસાફરી કોઈપણ મુશ્કેલી વગર પૂર્ણ
થઈ. તેમની પુત્રવધૂને કેનેડાના વિઝા મળતા ન હતા. આ માટે તેમણે
તથા તેમનાં પત્નીએ તેમજ પુત્રએ (પોતાની પત્ની માટે) પૂ.બાપાના
પરચાની ટેક રાખતા તેને ટૂંક સમયમાં જ વિઝા મળી ગયા. તેઓ
પતિ-પત્નીએ પૂ.બાપાને કરેલી પ્રાર્થનાના ફળ સ્વરૂપ તેમની
દીકરીની બીમારી દૂર થઈ તથા તેને સારી જોબ પણ મળી ગઈ. પૂ.બાપાની
દયાથી તેમની અનિદ્રાની તકલીફ તથા પત્નીના હાથનું દર્દ દૂર થયું.
શ્રીમતિ જયાબેન ગાંધી; ર્વજીનીઆ (યુ.એસ.એ.)થી લખે છે: તેમના
ડાબા ઘુંટણનું ઓપરેશન સફળ થયા બાદ ઈન્ફેક્શન થયેલું. સારું થઈ
જાય તે માટે તેમણે પૂ.બાપાને પ્રાર્થ્યા અને પરચો માન્યો.
પૂ.બાપાની કૃપાથી તેમને તદ્ન સારું થઈ ગયું. તેમની પુત્રીનું
ખોવાઈ ગયેલું ગ્રીનકાર્ડ પણ પૂ.બાપાની કૃપાથી વેળાસર મળી
આવ્યું. આ ઉપરાંત, પૂ.બાપાની કૃપાથી તેમના બંને પૌત્રોને સારી
કોલેજમાં એડમીશન મળ્યું. તેમની પૌત્રીને ગુમાવેલ જોબ ફરી મળી
ગઈ. પૂ.બાપાના પાવન ચરણોમાં અગણિત નમન.